
નાગપુર/ ભોપાલ, તા. 25 એપ્રિલ 2020, શનિવાર
કોરોનાના એક મહિનાના લોકડાઉન દરમિયાન પ્રદૂષણ અને અવાજની માત્રા નહીંવત થઈ ગઈ હોવાથી ઘણાં પ્રાણીઓ અને પક્ષીઓ માનવ વસાહત નજીક આવી ગયાં છે. આ પરિવર્તન જરૂર સારું છે. આમ છતાં આ જ લોકડાઉન દરમિયાન માનવી અને પ્રાણી વચ્ચે થયેલી ઝપાઝપીને કારણે મહારાષ્ટ્રમાં અને મધ્ય પ્રદેશમાં ૨૧ વ્યક્તિનાં મૃત્યુ પણ થયાં હતાં.
વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટ્ટિયૂટ ઓફ ઈન્ડિયા (ડબ્લ્યુ.આઈ. આઈ.) દ્વારા શરૂ કરાયેલી એક મોબાઈલ એપ્લિકેશન દ્વારા આવી ચિંતાજનક વિગતો જાણવા મળી છે. આ એપ્લિકેશન દ્વારા ક્યાં કયાં પ્રાણીઓ, ક્યારે અને કયાં કયાં માનવવસાહત નજીક પહોંચી જાય છે તેની સચોટ માહિતી મળે છે. આ એપ્લિકેશનનું નામ છે લોકડાઉન વાઈલ્ડ લાઈફ ટ્રેકર (એલ.ડબ્લ્યુ.ટી.)
ડબ્લ્યુય. આઈ. આઈ.ના અધિકારીઓએ એવી માહિતી આપી હતી કે યોગાનુયોગે લોકડાઉનનો અમલ બરાબર મહુઆનાં વૃક્ષો પર નવાં- તાજાં ફૂલ ઉગવાની મોસમ ટાણે જ થયો હતો. આ મોસમ દરમિયાન ગામડાંના લોકો મહુવાનાં વૃક્ષ ઉપરથી ફૂલો ઉતારવા માટે નજીકનાં જંગલોમાં જાય છે. મહુવાના ફૂલ વેચીને ગામડાંના લોકો થોડીઘણી આવક મેળવે છે. આમ આ દિવસોમાં મહુવાના ફૂલ વીણતાં ગ્રામજનો પર જંગલી પ્રાણીઓએ કરેલા હુમલામાં ૨૧ લોકોનાં મૃત્યુ થયાં હતાં. મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ખરેખર ચિંતાજનક છે.
આ અધિકારીઓએ એવી ચિંતા પણ વ્યક્ત કરી હતી કે આવી ઘટનાઓ કદાચ આવતાં મે મહિનામાં વધુ નોંધાઈ શકે છે. મે મહિનામાં મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશની સરહદ નજીકનાં ગામોમાં વસતાં લોકો જંગલોમાં તેંડુના પાન તોડવા જાય છે. આ જ તેંડુના પાનનો ઉપયોગ બીડી બનાવવામાં થાય છે.
લોકડાઉનના એક મહિનામાં મધ્ય પ્રદેશમાં જંગલી પ્રાણીઓના હુમલામાં ૧૩ વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં જ્યારે મહારાષ્ટ્રમાં આઠ વ્યક્તિ મૃત્યુ પામી હતી. મહારાષ્ટ્રમાં આઠમાંની સાત ઘટનાઓ તો છેલ્લા ૧૫ દિવસમાં જ થઈ હતી.
જાન્યુઆરીથી રજા એપ્રિલ-૨૦૧૯ દરમિયાન મહારાષ્ટ્રના વિદર્ભમાં આવી ૧૦ ઘટના બની હતી.
લોકડાઉન દરમિયાન ગઈ ૨૯, માર્ચે આવી પહેલી ઘટના વિદર્ભના ગોંદિયા જિલ્લામાં બની હતી. ચંદ્રપુર જિલ્લામાં ૩, ગઢ ચિરોળી જિલ્લામાં ૨, નાગપુર જિલ્લામાંથી ૧ અને ગોંદિયા જિલ્લામાં ૧, એમ કુલ સાત ઘટના શરૂઆતના તબક્કે થઈ હતી. છેલ્લી મૃત્યુ ઘટના ૨ જી માર્ચે થઈ હતી. તે દિવસે ગઢચિરોળી જિલ્લાનો એક માણસ નજીકના વડસાના જંગલોમાં મહુવાના ફૂલ વીણવા ગયો હતો.તે માણસ પર વાઘે અચાનક જ હુમલો કરીને તેને મારી નાંખ્યો હતો.
આ અધિકારીઓએ એવી માહિતી આપી હતી કે માર્ચના ત્રીજા સપ્તાહમાં આવી મૃત્યુની ૧૩ ઘટના મધ્યપ્રદેશમાં બની હતી. આમાંની ચાર ઘટના વાઘના ચાર હાથીના, એક રીંછના, એક દીપડાના એક જંગલી ભૂંડના હુમલાની હતી. મહારાષ્ટ્રના વિદર્ભનો ચંદ્રપૂર જિલ્લો બહુ જોખમી ગણાય છે.
મહારાષ્ટ્રના ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન નીતિન કાકોડકરે જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન આવા જંગલી પ્રાણીઓ પહેલી જ વખત માનવ વસાહત નજીક આવી ગયા હોય તે બનવા જાગે છે. મધ્ય પ્રદેશના પીપીસીએફ (વાઈલ્ડ લાઈફ) રાજેશ શ્રીવાસ્તવે એમ કહ્યું હતું કે અમે ગ્રામજનોને ૧૦-૧૫ ના જૂથમાં જંગલમાં જવા સૂચના આપી છે. સાથે લાકડી અને મોબાઈલ ફોન પણ રાખવા કહ્યું છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2yOvwvR
via Latest Gujarati News
0 Comments