
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 28 એપ્રિલ 2020, મંગળવાર
ઇરફાન ખાનની તબિયત અચાનક જ બગડતા તેને મુંબઇની અંધેરીની કોકિલાબેન હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે.જ્યાં તેની સાતે તેની પત્ની સુતાપા સિકંદર અને ્બે પુત્રો બાબિલ અને અયાન છે. હાલમાં જ તેની માતા સઇદા બેગમનું નિધન થયું છે.
ઇરફાનની માતાના નિધન વખતે ઇરફાન ભારતમાં છે કે વિદેશમાં તેની પણ કોઇ સ્પષ્ટતા નહોતી. તેના ખાસ મિત્રોએ પણ લાંબા સમયથી તેની સાથે વાતચીત ન થયાનું જણાવ્યું હતુ. તેવામાં અચાનક જ સમાચાર આવ્યા છે કે તેની તબિયત બગડતા તેને હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે.
જોકે એક વાત એવી પણ છે કે ઇરફાન આ હોસ્પિટલમાં લાંબા સમયથી સારવાર લઇ રહ્યો છે. અને હવે કોરોનાના પ્રકોપને કારણે મુલાકાતીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ઇરફાન તેની માતાની અંતિમ વિધિમાં જોડાઇ શક્યો ન હોવાથી તેણે વીડિયો કોલિંગ દ્વારા માતાના અંતિમ દર્શન કર્યા હતા.
બે વરસ પહેલા માર્ચ ૨૦૧૮માં ઇરફાનને પોતાની બીમારીની જાણ થઇ હતી. તેણે પોતે જ પોતાના પ્રશંસકોને આ વાતની જાણકારી આપી હતી. તેણે ટ્વિટ કરીને પોતાની બીમારીનો ખુલાસો કર્યો હતો. તેણે લખ્યું હતું કે, અચાનક જ જિંદગીમાં વળાંક આવી જાય છે જેના પ્રમાણે આગળ વધવું પડે છે. મને ન્યુરો ઇન્ડોક્રાઇન ટયૂમર નામની બીમારી છે. પરંતુ મારા આસપાસના લોકોના પ્રેમને લીધે મને આ બીમારી સામે લડવાની હિંમત આવી ગઇ છે અને હું સારવાર માટે વિદેશ જઇ રહ્યો છું અને સારી સ્ટોરી લઇને પાછો આવીશ.
૫૪ વર્ષીય ઇરફાનનો ઇલાજ લંડનમાં થઇ રહ્યો હતો. તે સપ્ટેમ્બર ૨૦૧૯માં ભાપત પાછો આવ્યો હતો. તે એરપોર્ટ પર વ્હિલચેરમાં બેઠો હતો તે તસવીરો પણ વાયરલ થઇ હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xgAn8M
via Latest Gujarati News
0 Comments