
મુંબઈ, તા.4, મે, 2020, સોમવાર
સાંતાક્રુઝના એક રહેવાસીએ બમણો આઘાત સહન કરવાનો આવ્યો છે. એણે કોવિદ-૧૯ સંબંધી ગુંચવણોને કારણે પોતાના ૭૪ વર્ષના પિતા તો ગુમાવ્યા જ છે પણ એ ઉપરાંત શહેરની એક હોસ્પિટલે એના પિતાને ૧૫ દિવસ આઈસીયુમાં રાખવા બદલ રૃા.૧૬ લાખનું બિલ પણ પકડાવ્યું છે.
'મને નથી લાગતું કે મધ્યમ વર્ગની કોઈ વ્યક્તિને સારવાર માટે રોજનો રૃ.૧ લાખનો ખર્ચ કરવો પરવડે. આ બિલ અમારા માટે એક મોટો આઘાત બનીને આવ્યું છે.' એમ મૃતકના પુત્રએ કહ્યું હતું. એમણે પોતાનું નામ ન આપવાની વિનંતી કરી હતી.
પાર્લાની નાણાવટી હોસ્પિટલના ડાયરેક્ટર મનપ્રીત સોહલે ઓવર-ચાર્જિંગના આક્ષેપો નકારી કાઢતા જણાવ્યું હતું કે 'દર્દીને બહુ જ નાજુક હાલતમાં અમારી હોસ્પિટલમાં લવાયા હતા. ઘણી બધી બીજી બિમારીઓને કારણે એમના અવયવો ખોટા પડી ગયા હતા. શ્રેષ્ઠ સારવાર આપ્યા છતાં એમનું નિધન થઈ ગયું.' દર્દીનું ૧૫ એપ્રિલે નાણાંવટી હોસ્પિટલમાં અવસાન થયું હતું.
ઘણાં પરિવારો તરફથી કોવિદ સંબંધી સારવાર માટે પ્રાઈવેટ હોસ્પિટલો બહુ મોટા બિલ બનાવતી હોવાની ફરિયાદો મળ્યા બાદ ગયા સપ્તાહમાં રાજ્યના જાહેર આરોગ્ય ખાતાએ પ્રાઈવેટ હોસ્પિટલોમાં કોવિદ અને કોવિદ સિવાયની બિમારીઓની સારવાર માટે ચાર્જ નક્કી કરતું એક નોટિફિકેશન જારી કર્યું હતું.
મૃતક દર્દીના પુત્રએ જણાવ્યું હતું કે હોસ્પિટલે મેડિસીન અને બીજી વસ્તુઓ માટે રૃ.૮.૬ લાખ અને કોવિદ માટે બીજા રૃ.૨.૮ લાખ ચાર્જ કર્યા હતા. 'સરકારે ચાર્જ પર મર્યાદા લાદી છે પણ હોસ્પિટલો આડેધડ ચાર્જ કરી રહી છે.' એવો આક્ષેપ તેણે કર્યો હતો. એના પિતા હોસ્પિટલમાં હતા ત્યારે એનો પરિવાર ઘરે ક્વોરન્ટાઈનમાં હતો.
'હોસ્પિટલ સાથે મારે ફોન પર વાત થતી હતી. પિતાને દાખલ કરતી વકતે મેં રૃ.૬૦,૦૦૦ ભર્યા હતા. બીજા દિવસે મને કહેવાયું કે તમારા પિતાને ડાયાલિસીસ અને વેન્ટિલેટર પર રાખવા પડશે. ત્યાર પછી બિલ વધતું જ ગયું.' એમ તેણે કહ્યું હતું.
જ્યારે નાણાંવટીના સાહેબે કહ્યું હતું કે આવી નાજુક હાલતના દર્દીને કોઈપણ હોસ્પિટલ રૃા.૧ લાખનો ચાર્જ કરે. અમે વધુ ચાર્જ નથી લીધો.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dhT2k8
via Latest Gujarati News
0 Comments