50 ટકા VVPAT સ્લીપોને EVM ગણતરી સાથે સરખાવો


21 રાજકીય પક્ષોએ ભેગા થઇ ચૂંટણી કમિશનર સમક્ષ માંગણી મુકી: સુપ્રીમમાં સમગ્ર પ્રશ્ન લઇ જવા તૈયારી

સિંઘવી, સિબ્બલ, કેજરીવાલ, ચંદ્રબાબુ નાયડુ સહિતના નેતાઓ બેઠકમાં હાજર રહ્યા

જનતાને હવે ઇવીએમ પર વિશ્વાસ નથી રહ્યો , ચૂંટણી પંચે માંગણી પર ધ્યાન આપવુ જોઇએ : કેજરીવાલ

નવી દિલ્હી, તા.14 એપ્રિલ, 2019, રવિવાર

તબક્કાવાર લોકસભાની ચૂંટણીનું મતદાન શરૃ થઇ ગયુ છે, પહેલા તબક્કામાં ઇવીએમને લઇને અનેક ફરિયાદો સામે આવી હતી. આ સ્થિતિ વચ્ચે હવે વિપક્ષે કમર કસી છે અને વીવીપીએટી (સ્લીપ વાળા ઇવીએમ)ને લઇને સુપ્રીમ કોર્ટમાં ફરી ગુહાર લગાવવાનું નક્કી કર્યું છે. વીવીપીએટીની ૫૦ ટકા સ્લીપોનું વેરિફિકેશન કરવામાં આવે કે જેથી મત બરાબર પડયો છે કે નહીં તે વિશ્વાસ આવે. રવિવારે બધા જ વિપક્ષો એક થઇને મિટિંગ યોજી હતી જેમાં કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવી, કપિલ સિબ્બલ, અરવિંદ કેજરીવાલ, ચંદ્રબાબુ નાયડુ પણ જોડાયા હતા. આ મિટિંગ બાદ નેતાઓએ ચેતવણી આપી હતી કે અમે ઇવીએમને લઇને સુપ્રીમ કોર્ટમાં ફરી જઇશુ અને ૫૦ ટકા સ્લીપોની ઇવીએમ સાથે સરખામણી કરીને તેનું વેરિફિકેશન કરવામાં આવે તેવી માગ કરીશું. 

કોંગ્રેસના નેતા અભિષેક સિંઘવીએ જણાવ્યું હતું કે ઇવીએમ સંબંધી જે પણ ફરિયાદો મળી રહી છે તેને લઇને અમે રાષ્ટ્રીય સ્તરે એક અભિયાન ચલાવીશું. આ પહેલા સોમવારે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને વીવીપીએટી સ્લીપને ઇવીએમ સાથે મેળવવાની સંખ્યાને વધારવામાં આવે અને દરેક વિધાનસભા બેઠક પર પાંચ બૂથ પર તેની સરખામણી કરવામાં આવે, હાલ આ સંખ્યા માત્ર એક જ છે. સાથે જણાવ્યું હતું કે તેનાથી માત્ર રાજકીય પક્ષો જ નહીં અન્યોને પણ સંતોષ આપશે. આ સ્થિતિ વચ્ચે કોંગ્રેસના નેતા અભિષેક સિંઘવીએ જણાવ્યું હતું કે ઇવીએમ સંબંધી અનેક ફરિયાદો સામે આવી રહી છે. જ્યારે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ પણ શનિવારે મુખ્ય ચૂંટણી કમિશનરને મળ્યા હતા અને ઇવીએમ સંબંધી ફરિયાદો સોપી હતી.  જ્યારે આપના નેતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે હવે લોકોને ઇવીએમ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. જ્યારે સિબ્બલે જણાવ્યું હતું કે જો ચૂંટણી પંચ ઇવીએમની સમસ્યાઓ પર ધ્યાન ન આપે તો અમે અન્ય રસ્તાઓ પણ શોધીશું પણ અમે ચુપ નહીં બેસીએ અને અમારો વિરોધ જારી રાખીશું. સાથે વીપક્ષોએ ઇવીએમ હટાવીને બેલેટ પેપર લાવવાની માગણી પણ કરી હતી. મોટા ભાગના પક્ષો એ વાત સાથે સહમત થયા છે કે ઇવીએમની સાથે પેપર ટ્રાયલને પણ મેળવવામાં આવે અને તેની ચકાસણી કરવામાં આવે. 

વિપક્ષને હાર દેખાઇ રહી હોવાથી ઇવીએમ પર સવાલો ઉઠાવે છે : ભાજપ 

ભાજપે આરોપ લગાવ્યો હતો કે વિપક્ષો ઇવીએમ પર એટલા માટે અત્યારથી જ સવાલો ઉઠાવવા લાગ્યા છે કેમ કે તેને હાર દેખાઇ રહી છે. ભાજપના નેતા જીવીએલ નરસિમ્હા રાવે જણાવ્યું હતું કે વિપક્ષો અત્યારથી જ હાર બાદ ઇવીએમ પર બધુ ઢોળી દેવાની તૈયારી કરી રહ્યા છે અને તેથી જ ઓલ પાર્ટી બેઠક બોલાવવામાં આવી હતી. વિપક્ષો આ ચૂંટણીમાં ભાજપ સામે પડકારો ઉભા કરવામાં તો નિષ્ફળ ગયા જ છે સાથે પાંચ વર્ષમાં એક વિપક્ષ તરીકે પણ નિષ્ફળ રહ્યા છે તેથી જ હવે હાર દેખાઇ ગઇ હોવાથી ઇવીએમ પર સવાલો ઉઠાવી રહ્યા છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VJjPxl
via Latest Gujarati News

Post a Comment

0 Comments