
(પીટીઆઇ) ગાઝિયાબાદ, તા.1 એપ્રિલ, 2019, સોમવાર
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ભારતીય લશ્કરને ''મોદીજી કી સેના'' ગણાવ્યું છે. એમણે અત્રે ચૂંટણી પ્રચાર દરમિયાન યોજાયેલી રેલીને સંબોધતા આમ જણાવીને કહ્યું કે કોંગ્રેસ, સમાજવાદી પક્ષ અને બહુજન સમાજપક્ષ માટે જે અશક્ય હતું એ ભાજપ શાસનમાં શક્ય બન્યું છે. એમણે સંચાલનની અનેક બાબતોને મુદ્દે વિપક્ષોને ઝાટક્યા હતા.
કોંગ્રેસીઓ આતંકવાદીઓને બિરયાની ખવડાવે છે, જ્યારે મોદીજીની સેના આતંકવાદીઓને ગોળી અને ગોળા આપે છે. કોંગ્રેસ અને ભાજપમાં આ તફાવત છે.
કોંગ્રેસના લોકો મસૂદ અઝહરના નામ સાથે 'જી' લગાવીને આતંકવાદને પોષે છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રાસવાદી છાવણીઓને નેસ્તનાબૂદ કરાઇ રહી છે, જેના પરિણામે ત્રાસવાદીઓ તથા પાકિસ્તાનની પીઠ ભાંગી ગઇ છે. આ કામગીરી છે ભાજપ સરકારની, જ્યારે આ ફેર છે બે પક્ષોની કામગીરી વચ્ચે, એમ યોગીએ રેલીને સંબોધતા ઉમેર્યુ.
કોંગ્રેસ માટે જે કામ કરવું એ અશક્ય હતું એ વડાપ્રધાન મોદી માટે શક્ય છે. કારણ કે જ્યારે મોદી હાજર છે ત્યારે અશક્ય વાત શક્ય બની જાય છે, એમ એમણે સમજાવ્યું.
યોગી કેન્દ્રના પ્રધાન અને ગાઝિયાબાદના વર્તમાન સાંસદ વી.કે. સિંઘની પ્રચાર રેલીને સંબોધી રહ્યા હતા.
એમણે કેન્દ્રમાં પાંચ વર્ષના મોદી શાસન દરમિયાન તથા રાજ્યમાં બે વર્ષના પોતાના શાસન દરમિયાન ઉત્તરપ્રદેશમાં થયેલા વિધેયાત્મક પરિવર્તનો ગણી બતાવ્યા હતા.
એમણે કહ્યું કે પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં સુરક્ષા અને સલામતીની પરિસ્થિતિ ઘણી સુધરી છે. હવે ત્યાં કોઇ મહિલાઓ કે દીકરીઓ સાથે ગેરવર્તન કરી શકતું નથી. કારણ કે ગુન્હેગારો જેલમાં સળિયા ગણે છે અથવા તો સ્વધામ પહોંચી ગયા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VgGG3b
via Latest Gujarati News
0 Comments