
કરાંચી, તા.19 મે, 2019, રવિવાર
'દુષ્કાળમાં અધિકમાસ' અથવા તો 'ખોદ્યો પહાડ નિકળ્યો ઉંદર' આવી જ સ્થિતિ હાલ પાકિસ્તાનની થઇ છે. એક તો પહેલાથી જ પાકિસ્તાન આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યુ છે. તેવામાં પાકિસ્તાનના કરોડો રૂપિયા પાણીમાં ગયા છે. કરાંચી નજીક અરબ સમુદ્રમાં ખનિજ તેલ અને ગેસના મોટા જથ્થો મળવાની આશામાં પાકિસ્તાને જે ખોદકામ શરૂ કર્યુ હતુ તે બંધથયુ છે, કેમકે જેટલા પણ કુવા ખોદવામાં આવ્યા તે બધામાં નિષ્ફળતા મળી છે. આ ખોદકામ પાછળ પાકિસ્તાને ૭૦૦ કરોડ રૂપિયા (૧૫૦૦ કરોડ પાકિસ્તાની રૂપિયા)નો ખર્ચ કર્યો છે. પાકિસ્તાન અને પ્રધાનમંત્રી ઇમરાન ખાન માટે આ ફટકો ખૂબ મોટો છે કેમકે હાલમાં પાકિસ્તાન આર્થિક મંદીથી ઘેરાયેલું છે.
ઇમરાન ખાને આ અગાઉપ્હ્યુ હતુ કે કરાંચીના કિનારા નજીક અરબ સમુદ્રમાં ખનિજ તેલનો વિશાળ ભંડાર હોવાનું જાણવા મળ્યુ છે. આ તેલનો ભંડાર એટલો વિશાળ હશે કે પાકિસ્તાને બહારથી ખનિજ તેલ આયાત કરવાની જરૂર રહેશે નહીં.
સાથે જ પાકિસ્તાનની આર્થિક સમસ્યાઓનો પણ અંત આવશે. આ પહેલા પણ પાકિસ્તાન આ વિસ્તારમાં તેલના કુવા માટેના ૧૭ પ્રયાસો કરી ચુક્ય છે. જેમાં તે સફળ રહ્યુ નથી. ત્યારબાદ હાલમાં કેકરા-૧ નામના તેલના કુવાનું ખોદકામ શરૂ હતુ. અમેરિકા અને ઇટલીની કંપની મળીને આ ખોદકામ કરતી હતી. પરંતુ ૫૫૦૦ મીટરના ખોદકામ બાદ પણ કંઇ હાથ ન લાગતા કંપનીએ ખોદકામ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
પાકસ્તિાનના જળ સંસાધન મંત્રી સૈયદ અલી હૈદરે આ અંગે વાત કરતા જણાવ્યુ હતુ કે અમે તેલ માટે હજુ ૧૮ કુવાએ જ ખોદ્યા છે, ભારતને ૪૩માં કુવામાં સફળતા મળી હતી જ્યારે લીબિયાને ૫૮માં પ્રયત્ને તેલ મળ્યુ હતુ. પાકિસ્તાની ઓઇલ એન્ડ ગેસ ડેવલપમેન્ટ કંપનીના અધિકારીએ જણાવયુ હતુ કે પાકિસ્તાન તેના પ્રયાસો શરૂ રાખશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ વર્ષથી પાકિસ્તાની રૂપિયામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. પાકિસ્તાનામાં એક ડોલરની કિંમત ૧૫૦ રૂપિયા થવા પામી છે. ત્યારે આર્થિક રીતે ભાંગી ગયેલા પાક માટે આ માઠા સમાચાર છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LW2913
via Latest Gujarati News
0 Comments