અલવિદા ગઠબંધન, તમામ નાની-મોટી ચૂંટણીઓ પોતાના દમ પર લડીશું : માયાવતી


(પીટીઆઈ) લખનૌ, તા.24 જૂન, 2019, સોમવાર

બસપા સુપ્રીમો માયાવતીએ ઉત્તર પ્રદેશમાં ગઠબંધનને અલવિદા કહી દીધું છે. લોકસભા ચૂંટણી વખતે સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરવા છતા હાર મળવાને કારણે માયાવતીએ હવે આગામી તમામ ચૂંટણીઓ એકલા જ લડશે તેવું એલાન કર્યું છે. માયાવતીએ પક્ષના નેતાઓ સાથેની બેઠક બાદ પાર્ટી ભવિષ્યમાં નાની-મોટી તમામ ચૂંટણીઓ એકલે હાથે જ લડશે તેવી જાહેરાત કરી હતી.

 બસપા પ્રમુખ માયાવતીએ ટ્વિટરના માધ્યમથી પણ આગામી તમામ ચૂંટણીઓ પાર્ટી સ્વતંત્ર રીતે લડશે તેવી જાહેરાત કરી હતી અને સમાજવાદી પાર્ટી પ્રત્યેનું વલણ કાયમ રાખવામાં આવશે તેવી સ્પષ્ટતા કરી હતી.

માયાવતીની ટ્વિટ બાદ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રમાશંકર વિદ્યાર્થીએ માયાવતી પર સામાજીક ન્યાયની લડાઈને કમજોર કરવાનો આરોપ લગાવ્યો હતો. બસપા સુપ્રીમોના સપા વિરુદ્ધના આરોપો અંગે પુછવામાં આવેલા સવાલના જવાબમાં તેમણે ગઠબંધનની માલકિને શું કર્યું તે સચ્ચાઈથી જનતા વાકેફ છે તેવી ટિપ્પણી કરી હતી. 

રમાશંકર વિદ્યાર્થીના દાવા મુજબ બસપાના ગઠબંધન તોડવાના એલાન બાદ દલિત સમાજ સપા સાથે જોડાઈ રહ્યો છે અને અખિલેશ યાદવ પર વિશ્વાસ મુકવા લાગ્યો છે તેથી ગભરાઈને માયાવતી સપા વિરુદ્ધ નિવેદનો આપી રહી છે. લખનૌૈ ખાતે બસપાની ઓલ ઈન્ડિયા બેઠક અને ત્યાર બાદ યોજાયેલી રાજ્યવાર બેઠકો બાદ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. માયાવતીએ ટ્વિટમાં સપા સાથેના ગઠબંધનની નિષ્ફળતાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની સ્પષ્ટતા કરી હતી.

સાથે જ ૨૦૧૨થી ૨૦૧૭ દરમિયાન સપા સરકારના બસપા તથા દલિતવિરોધી નિર્ણયો, પ્રમોશનમાં અનામત વિરોધી કાર્યો વગેરે બાબતો માફ કરીને ગઠબંધન કરવા છત ભાજપને હરાવવામાં નિષ્ફળતા મળી હોવાનું લખ્યું હતું. બસપાની રાષ્ટ્રીય સ્તરની બેઠકમાં માયાવતીએ સમાજવાદી પાર્ટીના નેતાઓ પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો અને અનેક બેઠકો પર બસપાની હાર માટે સપા નેતાઓને દોષી ઠેરવ્યા હતા. 

તેમણે સમાજવાદી પાર્ટી યાદવ મતોને ખેંચવામાં નિષ્ફળ રહી તે અંગે પણ ટિપ્પણી કરી હતી અને ચૂંટણી પૂરી થયા બાદ અખિલેશ યાદવે કોઈ ફોન ન કર્યો હોવાની ફરિયાદ કરી હતી.

માયાવતીએ સમાજવાદી પાર્ટીના શાસન દરમિયાન દલિતો પર થયેલા અત્યાચારોને પણ લોકસભા ચૂંટણીની હારનું કારણ ગણાવ્યું હતું. તેમણે પોતાને તાજ કોરિડોર કેસમાં ફસાવવા માટે ભાજપ ઉપરાંત મુલાયમ સિંહ યાદવ પણ જવાબદાર હોવાનો આરોપ લગાવ્યો હતો અને અખિલેશ યાદવે મુસ્લીમ ઉમેદવારોને વધારે ટિકિટ ફાળવવા અંગે દખલ કરી હોવાથી તેમને મુસ્લીમ વિરોધી સિદ્ધ કરવા પ્રયાસ કર્યો હતો.

બસપા સુપ્રીમોએ ગઠબંધન સમાપ્તિની જાહેરાત કર્યા બાદ ગઠબંધનના ત્રીજા પક્ષ રાષ્ટ્રીય લોક દળે પોતે સમાજવાદી પાર્ટીની સાથે હોવાની જાહેરાત કરી હતી જ્યારે કોંગ્રેસના પ્રવક્તા દ્વિજેન્દ્ર ત્રિપાઠીએ રાજકારણમાં વચનબદ્ધતા અગત્યની હોવાનું કહીને જે પાર્ટી પોતાની અન્ય પાર્ટીને આપેલું વચન ન પાળી શકે તેના તરફ જનતા શંકાની નજરે જોવે છે તેમ કહ્યું હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KE2943
via Latest Gujarati News

Post a Comment

0 Comments