
વોશિંગ્ટન, તા. 23 જુલાઇ, 2019, મંગળવાર
કાશ્મીર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને મધ્યસ્થતા કરવા વિનંતી કરી હોવાના ટ્રમ્પના વિવાદાસ્પદ નિવેદનથી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો બગડશે તેમ ભૂતપૂર્વ રાજદૂતો, રાજકીય નિષ્ણાતોનું માનવું છે. એક નિષ્ણાતે તો ત્યાં સુધી કહ્યું કે યુએસ પ્રમુખે તેમનું હોમવર્ક કર્યું નથી.
ભારત ખાતેના ભૂતપૂર્વ યુએસ એમ્બેસેડર રિચાર્ડ વર્માએ કહ્યું, પ્રમુખ ટ્રમ્પે આજે ઘણું નુકસાન કર્યું છે. કાશ્મીર અને અફઘાનિસ્તાન અંગે તેમની ટીપ્પણી ખોટી દિશામાં હતી. અમેરિકા ખાતે પાકિસ્તાનના ભૂતપૂર્વ એમ્બેસેડર હુસૈન હક્કાનીએ કહ્યું કે પ્રમુખ ટ્રમ્પને ટૂંક સમયમાં દક્ષિણ એશિયન મુદ્દાઓની જટીલતા સમજાશે.
ટ્રમ્પ અફઘાનિસ્તાન મુદ્દે પાકિસ્તાનની મદદ ઈચ્છે છે અને પાકિસ્તાનને જે મદદ જોઈએ છે તે અંગે ગુંચવાયા છે. તેમણે ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગની જેમ ઈમરાન ખાનની પણ પ્રશંસા કરી. તેમને ટૂંક સમયમાં સમજાઈ જશે કે દક્ષિણ એશિયાના ઐતિહાસિક મુદ્દાઓ રીયલ એસ્ટેટમાં ડીલ કરવા કરતાં વધુ જટીલ છે.
અમેરિકન વિદેશ મંત્રાલયના ભૂતપૂર્વ ડિપ્લોમેટ અલીસા આયરેસે કહ્યું કે ટ્રમ્પ મીટિંગ પહેલાં કોઈ તૈયારી કરતા નથી. તેમની મીટિંગ પહેલાં તૈયારીના અભાવ અંગે મને ઘણી ચિંતા થાય છે. કાશ્મીર મુદ્દે આજે તેમના નિવેદનને કલાકોની અંદર ભારત સરકારે ધરાર ફગાવી દીધું. ડિપ્લોમસી માટે વિગતો, ભાષા અને ઐતિહાસિક તથ્યોની કાળજીપૂર્વક માહિતી હોવી જરૂરી છે.
બુશ વહીવટીતંત્રમાં અન્ડર સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર પોલિટિકલ અફેર્સ તરીકે સેવા આપનાર નિકોલસ બર્ન્સે જણાવ્યું કે ભારત સરકાર વર્ષોથી કાશ્મીર મુદ્દે અમેરિકાની મધ્યસ્થતાનો ઈનકાર કરતી આવી છે. આમ, ટ્રમ્પના કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા અંગેના નિવેદનથી ભારત અને એમરિકા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી શકે છે તેમ નિષ્ણાતોનું માનવું છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2y52vbN
via Latest Gujarati News
0 Comments