ઇટાલીમાં 99 ટકા મૃતકો અગાઉ હૃદય અને ફેફસા જેવી બીમારી ધરાવતા હતા


મિલાન,તા.19 માર્ચ 2020 ગુરૂવાર

ઇટલીમાં કોરોના વાયરસથી ૩૦૦૦થી વધુના મોત થયા છે. ચીનમાં ૮૦૦૦૦ ઉપરાંત કેસ નોંધાયા તેમાંથી ૩૨૦૦ના મોત થયા છે આથી કોરોના વાયરસના સંક્રમણથી ઇટલીનો મુત્યુદર ચીન કરતા પણ વધારે છે. ઇટલીના નેશનલ હેલ્થ ઓથોરિટીના સ્ટડી અહેવાલમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. અહેવાલ મુજબ ઇટલીમાં કોરોના વાયરસથી મુત્યુ થયેલા ૯૯ ટકા લોકો અગાઉ ૪૫ ટકા હ્વદયરોગ, ૪૦ ટકા શ્વસન, ૭૫ ટકા હાઇપર ટેન્શન અને ૩૫ ટકા ડાયાબિટીશ જેવી બીમારીઓ ધરાવતા હતા. આમાંથી ૨૫.૧ ટકા મૃતક કોઇ પણ એક, ૨૫.૬ ટકા કોઇ પણ બે અને ૪૮.૫ ટકા સળંગ ત્રણ બીમારીઓ ધરાવતા હતા.

જેને અગાઉ કોઇ બીમારી ન હતી એવા લોકોનો કોરોના વાયરસથી મૃત્યુઆંક ૧ ટકાથી પણ ઓછો છે. ઇટલીમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોના વાયરસના સંક્રમણમાં ૧૫૦ ટકાનો વધારો થતા આરોગ્ય તંત્રએ વાયરસ કેવી રીતે ફેલાયો તેના સચોટ અનૂમાન અને આંકડા માટે કમર કસી છે. ઇટલીમાં કોરાના સંક્રમિત દર્દીઓમાં ૮ ટકાના મોત થયા જે વિશ્વમાં સૌથી વધારે હોવાથી તબીબોને પણ વિચારતા કરી દીધા હતા. કોરોના વાયરસના સંક્રમણના કારણે ઇટલીમાં કરફયૂ જેવી સ્થિતિ જોવા મળે છે. એપ્રિલ મહિનાના અંત સુધી લોકોને ઘરની બહાર નિકળવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ૧૭ માર્ચ ૨૦૨૦ સુધી મૃત્યુ પામેલા કોરોના પીડિત દર્દીઓની સરેરાશ ઉંમર ૭૯.૫ વર્ષ હતી. છેલ્લી માહિતી મુજબ ઇટલીમાં ૩૬૦૦૦થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bmXkFZ
via Latest Gujarati News

Post a Comment

0 Comments